પોરબંદરઃ પોરબંદર તાલુકામાંથી 21 દિવસમાં 1607 ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી છે. સરકારે કુલ 36.40 લાખ કિલો મગફળીની ખરીદી કરી છે. પોરબંદરના માર્કેટયાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર કાર્યરત કરાયું હતું જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મગફળીનો પાક ઠલવાયો છે. આ કેન્દ્ર દ્વારા રવિવારથી રોજ 200 ખેડૂતોને વેચાણ માટે જાણ કરી હતી. જેમાંથી 160 ખેડૂતો મગફળીના વેચાણ માટે આવ્યા છે.
80 હજાર હેક્ટરમાં વાવેતર
પોરબંદર જિલ્લામાં આવેલા જુદા-જુદા ગામે 80 હજાર હેકટરમાં મગફળીના પાકનું વાવેતર થયું હોવાનું જાણવા મળ્યું છે. મગફળીના પાકનું દર વર્ષે રેકોડબ્રેક ઉત્પાદન પોરબંદર જિલ્લામાંથી થાય છે. મોટાભાગના ખેડૂતો દ્વારા ઉત્પાદિત કરેલ મગફળી ટેકાના ભાવે જ વેચાણ કરવામાં આવે છે. પોરબંદરમાં અન્ય જિલ્લાની સરખામણીમાં વધુ મગફળી ટેકાના ભાવે ખરીદી થાય છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ મગફળી વેચવા માટે ખેડૂતો પોરબંદરને પસંદ કરે છે.
9 નવેમ્બરથી ખરીદી શરૂ
માર્કેટયાર્ડ ખાતે ખેડૂતો માટે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી તારીખ 9 નવેમ્બરથી ચાલું કરી દેવામાં આવી છે. મગફળીને વેચવા માટે રાત્રીના જ ખેડૂતો પહોંચી જાય છે. પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદને લઈને ખેડૂતના ખેતરમાં પડેલ મગફળીના પાથરા પલળી ગયા હતા. મગફળી મોડી તૈયાર થઈ હતી પણ ટેકાના ભાવ મળી રહેતા ખેડૂતોને મોટી રાહત થઈ છે. જેથી વેચાણમાં ઘસારો જોવા મળી રહ્યો છે.ખેડૂતો સવારથી પોતાના વાહનો ટેકાના ભાવે મગફળી વેચાણ માટે રાખી દેવામાં આવે છે.