અમદાવાદઃ ટેકાના ભાવ ન મળતા ખેડૂતો રોષે ભરાયા છે. સરકાર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. મગફળી વેચવાના મુદ્દે મૂળ જામનગરના ધ્રોલના રહેવાસી રવિરાજસિંહ જાડેજાએ વેરાવળ જબલપુર એક્સપ્રેસમાં બોંબ મૂક્યો હોવાનું 100 નંબર પર ફોન કરીને જણાવ્યું હતું.જે કોલ મળતા જ પોલીસ ટીમ યુદ્ધના ધોરણે રેલવે સ્ટેશન પહોંચી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. આ ટ્રેનને પછી વિરમગામ સ્ટેશને અટકાવી આરપીએફ, જીઆરપી સહિત અન્ય ટીમોએ તપાસ કરી હતી.
કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી
આ તપાસ દરમિયાન કોઈ પ્રકારની શંકાસ્પદ વસ્તુ ન મળતા ટ્રેનને દોઢ કલાક બાદ અમદાવાદ માટે રવાના કરી દેવામાં આવી હતી. ટ્રેનમાં બોંબ મૂકનારને પકડવા માટે ફોન કરનારની પણ પોલીસ ટીમે શોધખોળ શરૂ કરી હતી. ટેકનિકલ તપાસમાંથી જાણવા મળ્યું હતું કે, એના મોબાઇલનું લોકેશન રાજકોટ-મહેબૂબનગર સ્પેશિયલ ટ્રેનમાં ટ્રેસ થયું હતું. આ સૂચના અમદાવાદ ઝોનને આપવામાં આવી હતી. આ ટ્રેન અમદાવાદ સ્ટેશને પહોંચતા જ આરપીએફ અને જીઆરપીની ટીમે અટકાવી હતી.જેમાં તપાસ કરતા ફોન કરનાર રવિરાજ મળી આવ્યો હતો. જેના પગલે જીઆરપી પોલીસ મથકમાં લાવી તેની પૂછપરછ કરાઈ હતી. ત્યાર બાદ વધુ તપાસ માટે ધ્રોલ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઈ હતી.