અંબાજીઃ ગત તા. 14 ડિસેમ્બર ના રોજ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના નવા અધ્યક્ષની પ્રથમ કારોબારી સભા મા અંબાના સાનિધ્યમાં અંબાજી ખાતે મળી હતી. સમગ્ર ગુજરાતમાંથી સમાજના સંગઠનમાં નિમાયેલા તમામ કારોબારી સભ્યો દરેકે જિલ્લામાંથી ઉત્સાહ ભેર હાજર રહ્યા હતા. ઉત્તર ગુજરાતના યજમાન પણા અને અંબાજી ગામ બ્રહ્મ સમાજના યજમાન પણા હેઠળ આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. બ્રાહ્મણોના પારંપરિક પરિધાનમાં ભાઈઓએ પીતામ્બર અને બહેનોએ સાડીનો પોશાક ધારણ કરી જગતજનની માં અંબાની પાદુકા પૂજનથી કાર્યક્રમની શરૂઆત થઇ હતી.સમાજના જ પ્રદેશ કારોબારી સભ્ય અને અંબાજી ખાતેના વિજય પેલેસ રિસોર્ટ ના માલિક ભદ્રેશભાઈ પંડ્યાના રિસોર્ટ ખાતે મળેલી સભામાં રાજ્યના મહામંત્રી અનિલભાઈ શુક્લ, મહિલા પાંખના પ્રમુખ ધારીણીબેન શુક્લ, યુવા પ્રમુખ મનોજ ભાઈ ઉપાધ્યાય, ઉત્તર ઝોનના પ્રભારી અને ઉપપ્રમુખ રાજુભાઈ રાજગોર અને બનાસકાંઠાના મજબૂત આગેવાન હરગોવિંદભાઈ સિરવાડિયા, સમાજના પૂર્વ પ્રમુખ મહેશભાઈ મહેતા, ખજાનચી જીગ્નેશભાઈ જોષી, પ્રવક્તા વિજયભાઈ પાઠક વગેરે હાજર રહ્યા હતા.
જુદા-જુદા સેલની રચના
આ કારોબારી સભામાં સમાજ ઉત્થાન માટે ના કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા – વિચારણા થઇ હતી. સમાજ દ્વારા ચલાવાતા શૈક્ષણિક એકેડેમી, વિવાહ અને સમાજના છોકરાઓને રોજગારી અંગે પણ વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. હાલમાં નવી થનાર પોલીસ ભરતીમાં મોટા પ્રમાણમાં સમાજના દીકરા – દીકરીઓ ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરાવે તેવી હાકલ કરવામાં આવી હતી.આરોગ્ય માટે ડોક્ટર, કાનૂની મદદ માટે વકીલો, કલા ક્ષેત્રે કલાના વ્યક્તિઓ, સાંસ્કૃતિક ક્ષેત્રે ધાર્મિક વ્યક્તિઓ, મીડિયા અને સોશિયલ મીડિયા માટે પત્રકારો અને એને લગતા વ્યક્તિઓ આ રીતે સમાજના છેવાડા ના વ્યક્તિ સુધી જુદા જુદા પ્રકારની મદદ સમાજને મળી રહે તે માટે 11 જેટલાં સેલની રચના કરવામાં આવી છે.જે તે સેલને લગતા રાજ્યથી લઇ તાલુકા કક્ષા સુધી ની નિમણૂકો આપવાની પણ શરૂઆત થઇ ચુકી છે ત્યારે, કારોબારી સભામાં ચાર-ચાર ઝોન ના પ્રભારીઓ, ઉપપ્રમુખો, દરેક જિલ્લાના જિલ્લા પ્રમુખ – મહામંત્રી તે જ રીતે મહિલા અને યુવા પાંખ ના પ્રમુખ અને મહામંત્રી તેમજ મોટાભાગના સેલ ઇન્ચાર્જ સહિત અનેક આગેવાનોની હાજરી સૂચક હતી.

મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા
કારોબારી સભામાં સરકારને લગતા બે ઠરાવો કરવામાં આવ્યા તેમાં EWS ની જોગવાઈ આર્થિક – શૈક્ષણિક અને રોજગાર ક્ષેત્રથી વધારીને રાજકીય ક્ષેત્ર સુધી 10%મુજબ પંચાયતો માં પણ આપવામાં આવે તેવી માગણી કરતો ઠરાવ અને માં બાપને દુઃખી કરતા દીકરા – દીકરીઓ માં મા – બાપની સંમતિ કે મરજી સિવાય ભાગીને લગ્ન કરવાનાં કિસ્સાઓમાં માં- બાપ ની સંમતિ ફરજિયાત કરવાની જોગવાઈ કાયદાથી કરવામાં આવે તેને લગતો ઠરાવ કે જે હવે પછી સરકારને અધિકૃત રીતે મોકલી આપવામાં આવશે. મધ્યપ્રદેશના એક અધિકારી દ્વારા બોલાયેલા નિમ્ન કક્ષાના શબ્દોને વખોડી કાઢતો ઠરાવ કરી અને આ અધિકારીને યોગ્ય સજા કરવા અંગે પણ ઠરાવ કરવામાં આવ્યો. જે પણ મધ્યપ્રદેશ સરકારને મોકલી આપવામાં આવશે. આ સિવાય વિજય રિસોર્ટના માલિક ભદ્રેશભાઈ પંડ્યા યજમાન તરીકે અંબાજી ગામ બ્રહ્મ સમાજ અને ઉત્તર ઝોન બ્રહ્મ સમાજનો ઠરાવ કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સાથે જુદા – જુદા ક્ષેત્ર માં સમાજની કામગીરી સંભાળતા અને દરેક પ્રોજેક્ટ અને સેલમાં જુદી જુદી જવાબદારી નિભાવતા સંયોજકો અને સહસંયોજકો દેવાંગ દવે,વિભાબેન ભટ્ટ, સંદીપભાઈ ભટ્ટ,સ્મિતાબેન દવે, હાર્દિકભાઈ પંચોલી વગેરેની કામગીરીને બિરદાવવામાં આવી હતી.રાજ્યના 19 જિલ્લા અને 118 તાલુકાઓમાં જિલ્લા કક્ષા સુધી સંગઠન ની કામગીરી પૂર્ણ થયાની માહિતી આપવામાં આવી હતી. આગામી એક મહિનામાં તાલુકા કક્ષા સુધીના સંગઠન અને જુદા જુદા તમામ સેલની સંગઠન રચનાઓને પૂર્ણ કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. આજની કારોબારી સભામાં સમાજના ગુજરાતના પ્રમુખ શૈલેષ ઠાકર સહીત અંગ્રણીઓએ અલગ અલગ મુદ્દાઓ ની વિસ્તૃત છણાવટ પોતાના સંબોધનમાં કરી હતી.