ગાંધીનગરઃ ગુજરાતમાં ગત ત્રણ વર્ષ દરમિયાન રવિ પાકોનો સામાન્ય વાવેતર વિસ્તાર સરેરાશ 46.43 લાખ હેક્ટર રહ્યો છે, જેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં જ ગુજરાતના ખેડૂતોએ ૯૬ ટકાથી વધુ એટલે કે, 44.74 લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર કર્યું છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજુ પણ રવિ પાકોનું વાવેતર ચાલુ હોવાથી વાવેતરનો આંકડો વધવાની પૂર્ણ સંભાવના છે.
ગુજરાતમાં ઘઉંના પાકનું સૌથી વધુ વાવેતર
રાજ્યમાં દર વર્ષે રવિ ઋતુ દરમિયાન ઘઉંનું સૌથી વધારે વાવેતર થાય છે. એ જ અનુક્રમ જાળવી રાખતા આ વર્ષે પણ ગુજરાતમાં ઘઉંના પાકનું સૌથી વધુ વાવેતર થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 13.24 લાખ હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર નોંધાયું છે. ઘઉં સહિત રાજ્યમાં ધાન્ય પાકોનું કુલ 14.83 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે.
મસાલા પાકોનું 3.75 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર
ગત વર્ષે આ સમયગાળા દરમિયાન રાજ્યના આશરે ૭.૪૮ લાખ હેક્ટર વિસ્તારમાં ચણાનું વાવેતર નોંધાયું હતું, જેની સામે ચાલુ વર્ષે 13 ટકાની વૃદ્ધિ સાથે અત્યાર સુધીમાં કુલ 8.47 લાખ હેક્ટર વિસ્તારમાં ચણાનું વાવેતર થયું છે. જ્યારે, ચણા સહિત કઠોળ પાકોનું રાજ્યમાં 11 ટકાની વૃદ્ધિ સાથે 8.96 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. તેવી જ રીતે, અત્યાર સુધીમાં રાજ્યમાં જીરા જેવા મસાલા પાકોનું 3.75 લાખ હેક્ટર વિસ્તારમાં તેમજ રાઈ જેવા તેલીબિયાં પાકોનું કુલ 2.78 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે.
નોંધપાત્ર વૃદ્ધિ
આટલું જ નહીં, ગુજરાતમાં ચાલુ રવિ સીઝન દરમિયાન બટાટાનું પણ મબલખ વાવેતર જોવા મળ્યું છે. બટાટા પાકનું ગત વર્ષે આ સમયગાળા દરમિયાન આશરે 1.40 લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું હતું, જેની સામે આ વર્ષે અત્યાર સુધીમાં 18 ટકાની વૃદ્ધિ સાથે કુલ 1.66 લાખ હેક્ટરમાં બટાટાનું વાવેતર નોંધાયું છે. રવિ સીઝનની આ વાવણી પ્રક્રિયા જાન્યુઆરીના અંતિમ સપ્તાહ સુધી ચાલુ રહેશે. રાજ્યમાં થયેલા આ મબલખ વાવેતરને પગલે આગામી સમયમાં કૃષિ ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ થવાની સંભાવના સેવાઈ રહી છે.