અમદાવાદ શહેરમાં આજે સોલા સિવિલ પાસે AMTS બસમાં અચાનક આગ લાગી હતી. બસમાં આગ લાગતાં જ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતાં. ડ્રાઈવર અને કંડક્ટર સહિતના મુસાફરો સુરક્ષિત રીતે નીચે ઉતરી ગયા હતાં. જેથી કોઈ જાનહાની થઈ નથી. બસમાં આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લીધી હતી. રોડ પરથી પસાર થનારા લોકોમાં પણ આગને લઈને અફરાતફરી મચી જવા પામી હતી.
View this post on Instagram
AMTS બસમાં આગ લાગતા અફરાતફરી
ફાયર બ્રિગેડના જણાવ્યા પ્રમાણે AMTS રૂટ નંબર 501ની બસ અડાલજ ત્રિમંદિરથી સરખેજ ઉજાલા તરફ જઈ રહી હતી. આ દરમિયાન ડ્રાઈવરની કેબિનમાં એન્જિનના બોનેટમાંથી અચાનક ઘુમાડા નીકળવા માંડ્યા હતાં. જેથી ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને બસને સાઈડમાં ઉભી કરી દીધી હતી. તાત્કાલિક બસમાં બેઠેલા મુસાફરોને નીચે ઉતારી દીધા હતાં. જેના કારણે મોટી જાનહાની ટળી ગઈ હતી. ચોમાસા અને શિયાળામાં બસમાં આગ લાગવાની ઘટના બાદ બસની કરંપની સામે કોઈ ખુલાસા માંગવામાં આવતા નથી. તંત્રના અધિકારીઓને બસમાં ખામી છે કે કેમ તે બાબતે પણ તપાસ કરવામાં કોઈ રસ નથી. જ્યારે પણ આવી બસમાં આગ લાગે ત્યારે તેને ખસેડીને સાઈડમાં કરી દેવામાં આવે છે. બસમાં કેમ આગ લાગે છે તેનું કારણ શોધવામાં પણ મહાનગર પાલિકાના તંત્રને રસ નથી.