ગુજરાત પોલીસને પબ્લિક ફ્રેન્ડલી બનવા માટે સતત સૂચનાઓ આપવામાં આવે છે. લોકોની સાથે સારા સંબંધો કેળવવા માટે પણ અનેક વખત કહેવામાં આવ્યું છે. તે છતાંય ખાખીનો રૂઆબ અને દાદાગીરી ઓછી થવાનું નામ નથી લેતા. ભાવનગરના મહુવાના મોટા ખૂંટવડા ગામે એક પોલીસ અધિકારીએ પશુપાલકને માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
View this post on Instagram
પોલીસ અધિકારીએ પશુપાલકને માર માર્યો
મહુવા તાલુકાના મોટા ખૂંટવડા ગામે પોલીસ અધિકારીએ પશુપાલકને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પશુચરાણ માટે નીકળેલા ભાવેશ રાઘવજી ચૌહલાને પોલીસ અધિકારીએ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસ અધિકારી ગાડી લઈને નીકળ્યા હતાં અને રસ્તામાં ભેંસ આડી ઉતરતા તેઓ ગીન્નાયા હતાં અને ગોવાળને માર માર્યો હતો. મોટા ખૂંટવડાના પીએસઆઇ યાદવ, પોલીસ અધિકારી જાડેજા અને અન્ય એક વ્યક્તિએ માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. સામાન્ય બોબતે ઉશ્કેરાઈ પોલીસ અધિકારીઓએ ભાવેશ ચૌહલાને માર માર્યો હોવાનો ભાવેશ અને તેમના પરિવારનો આક્ષેપ છે. ભાવેશ ચૌહલાને ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.