ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના પ્રતિબંધિત વિસ્તારમાં પોલીસે જમ્મુ કાશ્મીરના બે શખ્સોને ઝડપી પાડ્યાં છે. એસઓજી પોલીસે નારાયણ સરોવર વિસ્તારમાંથી બે શખ્સોને ઝડપીને તેમની સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ બંને શખ્સો કેટલા સમયથી અહીં રોકાયા હતાં અને શું કરી રહ્યાં હતાં તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. કચ્છના કાળા નાળાના પ્રતિબંધિત વિસ્તારમાં કોઈ પણ મંજૂરી વિના આ શખ્સો ઘૂસ્યા હતાં. એસઓજી પોલીસને જાણ થતા બન્નેની અટકાયત કરી છે.
જાવીદ નામના યુવકના મોબાઇલમાં પાકિસ્તાની નંબર મળ્યા
પોલીસની તપાસમાં એવો ખુલાસો થયો છે કે, જમ્મુ કાશ્મીરના આ બંને શખ્સો પહેલા ગાંધીધામ આવ્યા હતાં અને ત્યારબાદ માંડવીમાં જુદી જુદી મસ્જિદમાંથી તેમણે ફાળો પણ ઉઘરાવ્યો હતો. આ બંને જણા ગેસ્ટ હાઉસમાં પણ રોકાયા હતાં. બન્ને શખ્સો અલગ અલગ ટ્રસ્ટોમાં કામ કરે છે, બંનેની વધુ પૂછપરછ કરાતાં પોતે નલિયાથી વાયોરવાળા રસ્તે લક્કી નાળા વિસ્તારમાં ગયા હતા.જાવીદ નામના યુવકના મોબાઇલમાં પાકિસ્તાની નંબર મળ્યા હતા જે અંગે તેણે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસેલા આ શખ્સો ખરેખર કેવા ઇરાદે આવ્યા હતા તે માટે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથધરી છે.