અમદાવાદઃ નગરદેવી ભદ્રકાળી માતાની બીજી નગરયાત્રા 26 ફેબ્રુઆરીએ નીકળશે. આ વખતે રૂટમાં નાનકડો ફેરફાર કરવામાં આવ્યો છે. આ વખતે નગરયાત્રાનો રૂટ બેથી અઢી કિમી લંબાવાયો છે. નગરયાત્રાના રૂટમાં ખાડિયા, રાયપુર, વીજળી ઘરનો સમાવેશ કરાયો છે. જ્યારે ખાસ વાત એ છે કે, આ નગરયાત્રામાં માતાજીની ચાંદીની પાદુકાની જગ્યાએ મૂર્તિ મૂકવામાં આવશે. આ માટેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.
ભજન-રાસની રમઝટ બોલશે
મંદિરના ટ્રસ્ટી શ્રીકાંત તિવારીના જણાવ્યા અનુસાર, મંદિર ટ્રસ્ટે મૂર્તિ તૈયાર કરવાનો ઓર્ડર આપી દીધો છે. 19 ફેબ્રુઆરીએ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ નગરયાત્રામાં મૂર્તિ બિરાજમાન કરાશે. નગરયાત્રાના દિવસે 5 હજારથી વધુ લોકો પ્રસાદીનો લાભ લેશે. રબારી, ભરવાડ સમાજના આગેવાનો, ભજન મંડળીઓ, અખાડા નગરયાત્રામાં જોડાશે.

ચલિત મૂર્તિ કેમ ?
મંદિરના ટ્રસ્ટીના જણાવ્યા મુજબ રથયાત્રામાં ભગવાન જંગન્નાથજીની રથ પર બિરાજે છે, તે રીતે માતાજીની મુખ્ય મૂર્તિ પ્રતિષ્ઠિત હોવાથી આબેહૂબ ચલિત મૂર્તિ મૂકવામાં આવશે. બે ઊંચાઈની આ મૂર્તિ અમદાવાદના કારીગરોએ તૈયાર કરી છે. 19 ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યે મંદિરના પ્રાંગણમાં ચલિત મૂર્તિને પ્રાણપ્રતિષ્ઠા બાદ મંત્રોચ્ચાર સાથે પ્રસ્થાપિત કરવામાં આવશે. આગામી વર્ષોમાં જેટલી પણ નગરયાત્રા નીકળશે, તેમાં આ ચલિત મૂર્તિ બિરાજમાન હશે.
નગરયાત્રાનો રૂટ
ખાડિયા ચાર રસ્તા, સારંગપુર, ચકલા, ભદ્રકાળી, વસંત ચોક, મંદિર, માણેકચોક, ખમાસા, મહાલક્ષ્મી મંદિર, ચકલેશ્વર મહાદેવ, AMC દાણાપીઠ, ઢાળની પોળ, રિવરફ્રન્ટ પૂર્વ, ફૂલ બજાર, જમાલપુર દરવાજા, જગન્નાથ મંદિર, વીજળી ઘર, ત્રણ દરવાજા