અમદાવાદ શહેરમાં પોલીસ બેડામાં મોટા ફેરફાર સામે આવ્યા છે. શહેરમાં 27 PIની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જ્યારે લિવ રિઝર્વમાં રહેલા 8 PIને નિમણૂંક અપાઈ છે. શહેરમાં વસ્ત્રાપુરના PI એલ.એલ. ચાવડાને મારામારીનો કેસ નડી ગયો હોય જેથી તેમને સજાના ભાગ રૂપે સરખેજમાં બદલી કરી દેવામાં આવી હોવાનું પોલીસ સુત્રોમાં ચર્ચાઈ રહ્યું છે. એવી પણ ચર્ચા છે કે, સરખેજ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેરમાં ખૂબ ચર્ચામાં રહે છે. ત્યારે શું આ PI પણ હવે સરખેજમાં જઈને પણ ઘી કેળાં નહીં કરે એની શું ગેરંટી એવી ચર્ચાઓ પોલીસ બેડામાં શરૂ થવા પામી છે.

ઇન્ચાર્જથી ચાલતા હતા તે પોલીસ સ્ટેશનને હવે PI મળ્યા
શહેરમાં દાણી લિમડાના પીઆઈને પણ કંટ્રોલ રૂમમાં મુકી દેવામાં આવ્યા છે. તેમને પણ કેમિકલ ચોરીનો કેસ નડ્યો હોવાની ચર્ચાઓ છે. આ ઉપરાંત શહેરમાં કૃષ્ણનગર, ચાંદખેડા સહિતના કેટલાક પોલીસ સ્ટેશન છેલ્લા કેટલાય સમયથી ઇન્ચાર્જથી ચાલતા હતા તે પોલીસ સ્ટેશનને હવે PI મળ્યા છે.

પોલીસ કમિશનર જી.એસ.મલિકે કેટલાક PIની એજન્સીમાંથી પોલીસ સ્ટેશનમાં તો કેટલાકની પોલીસ સ્ટેશનમાંથી એજન્સીમાં બદલી કરી છે. લાંબા સમયથી એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોય અને કેટલાક પોલીસ સ્ટેશનમાં નાના મોટા વિવાદ થયા હોય તેમની પણ બદલી કરવામાં આવી છે. પોલીસ બેડામાં થયેલી અચાનક બદલીઓને કારણે અનેક કર્મચારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.