અમદાવાદ શહેરમાં ધ્વનિ પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા માટે પોલીસ કમિશનર દ્વારા નવું જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર ધાર્મિક સ્થળો તેમજ જાહેર કાર્યક્રમોમાં માઈક સિસ્ટમ અને ડીજેના ઉપયોગ માટે ચોક્કસ નિયમો લાગુ કરવામાં આવ્યા છે.ખાસ કરીને ધાર્મિક પરિસરમાં માઈક સિસ્ટમનો અવાજ માત્ર સંકુલની અંદર સુધી મર્યાદિત રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે અને ડીજે વગાડવાની મંજૂરી આપવામાં નહીં આવે.પોલીસ કમિશનર જી.એસ.મલિકે બહાર પાડેલા આ જાહેરનામામાં જણાવાયું છે કે શહેરમાં ધ્વનિ પ્રદૂષણને કાબૂમાં રાખવા માટે માઈક સિસ્ટમ અને ડીજેનો ઉપયોગ કરવા પહેલાં પોલીસની મંજૂરી લેવી ફરજિયાત રહેશે.જાહેર કાર્યક્રમો, વરઘોડા કે રેલીઓ દરમિયાન પણ નક્કી કરેલા ડેસિબલના માપદંડ મુજબ જ અવાજ રાખવો પડશે.
કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે
જાહેરનામા અનુસાર જો માઈક સિસ્ટમનો અવાજ રહેવાસીઓ અથવા રાહદારીઓ માટે તકલીફજનક બનશે અથવા ભયનો માહોલ ઉભો કરશે તો પોલીસ તેની પર પ્રતિબંધ મૂકી શકે છે.ઉપરાંત શહેરમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી માઈક સિસ્ટમ વગાડવાની મંજૂરી આપવામાં નહીં આવે.સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી જ માઈક સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે.સાથે જ હોસ્પિટલ, શાળાઓ અને કોર્ટના 100 મીટર વિસ્તારમાં કોઈપણ પ્રકારની માઈક સિસ્ટમ અથવા ડીજે પર પ્રતિબંધ રહેશે. રહેણાંક વિસ્તારો, પાર્ટી પ્લોટ અથવા ખુલ્લી જગ્યામાં કાર્યક્રમો માટે માઈક સિસ્ટમનો ઉપયોગ કરવો હોય તો અગાઉથી પોલીસની મંજૂરી લેવી ફરજિયાત રહેશે.જો કોઈ વ્યક્તિ અથવા સંસ્થા આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો પોલીસ દ્વારા માઈક સિસ્ટમ અથવા ડીજે જપ્ત કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. શહેરમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ નિયમોનું પાલન કરવું જરૂરી હોવાનું પોલીસ દ્વારા જણાવ્યું છે.