દાહોદ શહેરના માનસરોવર તળાવ ખાતે એક દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક કાર દીવાલ તોડીને સીધી તળાવમાં ખાબકી ગઈ હતી. આ બનાવમાં ત્રણ મિત્રો કારમાં સવાર હતા, જેમાંથી બે યુવાનોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે એક યુવાનનું દુર્ભાગ્યવશ મોત થયું છે. ઘટનાને કારણે વિસ્તારમાં થોડા સમય માટે ગભરાટનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ત્રણ મિત્રો ફરવા માટે કાર લઈને માનસરોવર વિસ્તાર તરફ ગયા હતા. તેઓ તળાવ પાસે આવેલા બેટ વિસ્તારમાં કાર લઈને ફરી રહ્યા હતા ત્યારે અચાનક ડ્રાઈવર સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી બેઠો હતો. પરિણામે કાર દીવાલ તોડી સીધી તળાવના પાણીમાં પડી ગઈ હતી.કાર પાણીમાં ખાબકતાં આસપાસ હાજર લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.
કાર દીવાલ તોડી સીધી તળાવના પાણીમાં પડી
ત્યાં ફરતા કેટલાક સ્થાનિક મુસ્લિમ યુવાનોએ તાત્કાલિક હિંમત બતાવી અને કારમાં ફસાયેલા બે યુવકોને બહાર કાઢવામાં મદદ કરી હતી. આ બંને યુવકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. અકસ્માતમાં બચાવાયેલા યુવાનોમાં પ્રીત રાકેશકુમાર અગ્રવાલ અને ધ્રુવરાજ પ્રણેશભાઈ વરિયા (ઉંમર 24 વર્ષ)નો સમાવેશ થાય છે, જે બંને દેવગઢ બારીઆના રહેવાસી છે. જ્યારે રાજકોટના રહેવાસી રાહુલ વિનોદભાઈ ચાવડા (ઉંમર 24 વર્ષ)નું આ દુર્ઘટનામાં મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. બચાવ કામગીરી દરમિયાન પાલિકા પ્રમુખ પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને મદદરૂપ બન્યા હતા. હાલ પોલીસ અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ કરી રહી છે.