ગીર સોમનાથ જિલ્લાના ઉના દલિત કાંડ કેસમાં હવે એક મહત્વપૂર્ણ કાનૂની વળાંક આવ્યો છે. લગભગ દસ વર્ષથી ચાલી રહેલા આ ચર્ચાસ્પદ કેસમાં વેરાવળ સેશન કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.કોર્ટના ચુકાદા મુજબ, આ કેસમાં દાખલ થયેલી FIRમાં કુલ 39 આરોપીઓના નામ હતા. જેમાંથી પાંચ આરોપીઓને દોષિત ઠરાવવામાં આવ્યા છે. દોષિત જાહેર કરાયેલા આરોપીઓમાં રમેશ જાદવ, રાકેશ જોશી, પ્રમોદ ગૌસ્વામી, નાગજી ડાયા અને બળવંત ગૌસ્વામીનો સમાવેશ થાય છે. કોર્ટના નિર્ણય પ્રમાણે આ પાંચેય આરોપીઓ સામેના પુરાવા પૂરતા હોવાથી તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે.
કોર્ટ દ્વારા દોષિત જાહેર કરવાનો નિર્ણય
છેલ્લા દસ વર્ષથી આ કેસની કાનૂની પ્રક્રિયા ચાલી રહી હતી અને રાજ્યભરમાં લોકો તેની અંતિમ પરિણામની રાહ જોઈ રહ્યા હતા.હાલમાં કોર્ટ દ્વારા દોષિત જાહેર કરવાનો નિર્ણય આપવામાં આવ્યો છે. દોષિતોને કેટલા વર્ષની સજા ફટકારવામાં આવશે તે અંગેનો અંતિમ નિર્ણય આવતીકાલે, 17 માર્ચે જાહેર કરવામાં આવશે. તે દિવસે વકીલોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ સજાની અવધિ અંગે અંતિમ ચુકાદો આપશે.ઉના દલિત કાંડ કેસ રાજ્યભરમાં ખૂબ ચર્ચામાં રહ્યો હતો. હવે આ ચુકાદા સાથે કેસમાં મહત્વપૂર્ણ તબક્કો આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.