અમદાવાદ:અમદાવાદ શહેરના જાહેર સ્થળો તથા શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, બસ સ્ટેન્ડ વગેરે જગ્યાએ રખડતા કૂતરાની સમસ્યાને લઈને તંત્ર એક્શનમાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર આ જગ્યાઓ પર રખડતા કૂતરાઓને લઈને નોડલ ઓફિસરની કોર્પોરેશન દ્વારા નિમણૂંક કરાશે. કોર્પોરેશનની તમામ મિલકતોમાં નોડલ ઓફિસરની નિમણૂક કરવા માટે સુચના આપી દેવામાં આવી છે. માત્ર કોર્પોરેશન જ નહીં અન્ય સંસ્થાઓએ પણ એક સપ્તાહમાં એક નોડલ ઓફિસરની નિમણૂંકની કાર્યવાહી પૂરી કરવાની રહેશે. સંસ્થાઓમાં કામ કરતી સિક્યોરીટીએ રખડતા કૂતરા પ્રવેશે નહીં તે જોવાની જવાબદારી નિભાવવાની રહેશે. હકીકત એવી પણ છે કે, તંત્રએ ઘોડા છૂટ્યા બાદ તબેલે તાળા મારવા જેવો ઘાટ ઊભો કર્યો છે.

કૂતરાને લઈને પરિપત્ર
અમદાવાદ કોર્પોરેશને રખડતા કૂતરાને લઈને પરિપત્ર કર્યો છે. રેલ્વે સ્ટેશન,બસ સ્ટેન્ડ મોટી હોસ્પિટલો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં કે જ્યાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય ત્યાં ગાઈડલાઈન અનુસાર નોડલ ઓફિસરની નિમણૂંક કરવાની રહેશે. આ આદેશ અનુસાર કોર્પોરેશન દ્વારા કૂતરાની સમસ્યાને લઈ નોડલ ઓફિસરને તાલીમ પણ આપવામાં આવશે. આ સંસ્થાઓમાં કોઈપણ જગ્યાએ પ્રીમાઈસીસમાં કચરો નાખવામાં ન આવે, સંસ્થાને ચારે તરફથી દિવાલથી વર કરેલી હોવી જો ઈએ, સંસ્થામાં કેટલા ડસ્ટબિન રાખવામાં આવેલા હોવા જોઈએ.
કૂતરા કરડવાના બનાવ વધ્યા
અગાઉ કૂતરા કરડવાનો બનાવ બનેલા છે. આ અંગેનો એક રીપોર્ટ તૈયાર કરીને નોડલ ઓફિસરે જમા કરાવવાનો રહેશે. CNCD વિભાગના વડા નરેશ રાજપૂતે આ અંગે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના ઓર્ડર બાદ એસઓપી પ્રસિદ્ધ ક૨વામાં આવી છે. જેમાં શહેરી વિસ્તારમાં વિવિધ પ્રકારની શૈક્ષણિક સંસ્થા, રેલવે સ્ટેશન પ્રકારની પ્રિમાઈસીસને આઈડેન્ટિફાઈ ક૨વાની અને નોડલ ઓફિસરની નિમણૂંક કરવાનો આદેશ કરાયો છે. હાલમાં પ્રિમાઈસીસની ઓળખ કરી તકેદારીના પગલા લેવામાં આવશે અને ત્યારબાદ કૂતરાનો ત્રાસ દુર કરવા માટે કાર્યવાહી કરાશે.

કૂતરાનો આતંક
થોડા દિવસ પહેલા પાલડી વિસ્તારમાં એક મહિલાને કૂતરૂ કરડ્યા બાદ અનેક એવા કિસ્સા શ્વાન કરડવાના બન્યા છે. આ વિસ્તારમાં કોર્પોરેશને કૂતરા પકડવા કાર્યવાહી કરી હતી.છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદ શહેરમાંથી 3 લાખ લોકોને શ્વાન કરડવાના કેસ સામે આવ્યા છે. હાલમાં શ્વાનનું વેક્સિનેશન ચાલી રહ્યું છે. આ ટીમ દૈનિક ધોરણે 40 જેટલા શ્વાનને વેક્સિન આપી રહ્યા છે. જોકે, આ સામે શ્વાન કરડવાના કેસનો આંક ખૂબ મોટો છે.