અમદાવાદઃ જૈન શ્રાવકો તા.13મીથી 3 દિવસના ઉપવાસ એટલે અટ્ઠમની આરાધના કરશે અને વિશેષ ઉપાસના કરશે. શેઠ સુબાજી રવચંદ જેચંદ જૈન વિદ્યાશાળા દ્વારા ‘શ્રી પાર્શ્વદર્શન યાત્રા’નું આયોજન કરાયું છે. જેમાં મોટી સંખ્યામાં જૈનો જોડાશે. પ્રથમવાર આ આયોજન કોટ વિસ્તારમાં થવા જઈ રહ્યું છે. જૈન ધર્મમાં સમાધિ, શાંતિ અને સમતાની દુર્લભ પ્રાપ્તિ માટે અટ્ઠમતપને અનિવાર્ય માનવામાં આવે છે. આ અટ્ઠમતપ પ્રભુ પાર્શ્વનાથના જન્મ અને દીક્ષા કલ્યાણક સાથે જોડાયેલો છે. પોષ દશમના પર્વ નિમિત્તે શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ ભાતાઘર કમિટી અને વિદ્યાશાળા દ્વારા દોશીવાડાની પોળમાં પાર્શ્વનાથ પરમાત્માની આબેહૂબ રચના પણ કરવામાં આવી છે.
તપ કરવું કેમ અનિવાર્ય
તા. 16 ડિસેમ્બર સુધી વિવિધ રચનાઓના દર્શન જૈન શ્રાવકો કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રભુ મહાવીર સ્વામીજીએ જિનવાણીમાં ફરમાવ્યું છે કે, જે ભાગ્યશાળીને શાંતિયુક્ત સમાધિની પ્રાપ્તિ કરવી હોય તેમણે પાર્શ્વનાથ પ્રભુના જન્મકલ્યાણક અને દીક્ષા કલ્યાણકના પવિત્ર દિવસોમાં અવશ્યમેવ અટ્ઠમતપ કરવું અનિવાર્ય છે. જે પ્રભુના જન્મની અને દીક્ષાની ઘટનાને કલ્યાણક શબ્દોથી નવાજી છે કારણ કે અટ્ઠમતપ કરવા સાથે જ આત્માને શાંતિ, સુખ, જીવન આનંદ મંગલ અને કલ્યાણની પ્રાપ્તિ કરાવે છે.
છંદ અનુસાર રચનાના દર્શનનું આયોજન
પાર્શ્વનાથ દાદાનાં પાંચેય કલ્યાણકનાં અદ્ ભુત દર્શન, શંખેશ્વર પાર્શ્વ પ્રભુનો મહિમા, મેઘમાળીદેવ બન્યાં સમયે પ્રભુને કરેલ ભયંકર ઉપસર્ગ, સમ્મેતશિખર ગિરિરાજની શામળા પાર્શ્વનાથજીની રચના, અંતરીક્ષ પાર્શ્વ પ્રભુ આકાશનાં અંતસ્થલ આદર્શ ચમત્કાર, પાર્શ્વનાથ પરમાત્માનાં 10 ભવનાં દર્શન, શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ પરમાત્માનાં દર્શન, શ્રી જીરાઉલા પાર્શ્વનાથ પરમાત્માનાં દર્શન, શ્રી પદ્માવતી માતાનાં દર્શન, 108 પાર્શ્વ નામ છે.