અમદાવાદઃ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વેનું એક્સપાન્શન થશે, 93.30 કિમીનો 6 લેન રસ્તો તૈયાર કરવામાં આવશે. અમદાવાદ અને વડોદરાને જોડતા એક્સપ્રેસ વેમાં નવી લેન તૈયાર કરવા માટેનું કામ શરૂ થઈ ચૂક્યું છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આ પ્રોજેક્ટ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તારીખ 12 ફેબ્રુઆરી 2026ના રોજ દિલ્હીના NHAI હેડક્વાર્ટરથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જેમાં આ પ્રોજેક્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 6 લેનનો હાઈવે તૈયાર થતા મુસાફરોને મોટી રાહત મળી રહેશે. ખાસ કરીને દૈનિક ધોરણે અપડાઉન કરતા લોકોને મોટી રાહત મળશે. સમયની પણ બચત થશે.
6 લેન તૈયાર થતા મોટી રાહત થશે
નવા ટેન્ડરના રીપોર્ટમાં જણાવ્યા અનુસાર 93.302 કિમી સુધીનો માર્ગ માટે તૈયાર કરવામાં આવશે, હાલમાં આ એકસપ્રેસ વે પર બન્ને બાજુએ બે-બે લેન અને સર્વિસ લેન છે. આ પ્રોજેક્ટ સંબંધીત 4 માર્ચે પ્રી-બિડ મિટિંગ યોજાશે, જેમાં કોઈમોટા નિર્ણય લેવાઈ શકે એમ છે. આ એક્સપ્રેસ વે 2004માં શરૂ કરવામાં આવ્યો હતો, જે દેશના ગોલ્ડન ક્વોડ્રિલેટરલ કોરિડોરનો એકભાગ છે. આ એક્સપ્રેસ વેને દેશનો પ્રથમ 4 લેન એક્સપ્રેસ વે પણ માનવામાં આવે છે. અમદાવાદ વડોદરા સિવાય નડિયાદ, આણંદ અને ડાકોરને પણ જોડે છે.

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનું કામ પણ પૂરજોશમાં
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે સિવાય પણ મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વેનું કામ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. ખાસ કરીને વડોદરાથી લઈને ભરૂચ સુધી અને ભરૂચથી વાપી સુધીના કટનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જોકે આ પ્રોજેક્ટથી નેશનલ હાઈવે ઓથોરિટીને મોટો ફાયદો થવાની પૂરી શક્યતાઓ છે. આ ઉપરાંત ભરૂચ પાસે બ્રિજ તૈયાર થઈ જતા હવે મુસાફરોને મોટી રાહત મળવાની છે. સામાન્ય દિવસો સિવાય તહેવારના દિવસોમાં આ રૂટ પર ભારે ટ્રાફિકજામ થઈ જાય છે. આ રૂટ પર નવા રસ્તાથી મુસાફરોને મોટી રાહત મળવાની છે.