અમદાવાદઃ વસ્ત્રાપુર તળાવના રીનોવેશનનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. તળાવ પાસે જ ગાર્ડનથી લઈને પેટ ડોગ માટે ખાસ ઝોન તૈયાર કરવામાં આવ્યો છે. એન્ટ્રી ફી 10 રૂપિયા રાખવામાં આવી છે. આ તળાવ 7 ડિસેંબરથી લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. રીનોવેશન પ્રોજેક્ટમાં તળાવના ત્રણ નવા ગેઈટ તૈયાર કરવામાં આવ્યા છે. ગેઈટ પાસે જ ફૂવારા મૂકવામાં આવ્યા છે જેથી ઉનાળામાં અંદર પ્રવેશતી વખતે ઠંડકનો અહેસાસ થશે.
બારે માસ રહેશે પાણી
આ સમગ્ર પ્રોજેક્ટને લઈ અમદાવાદ સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે,નવા તૈયાર થયેલા વસ્ત્રાપુર તળાવમાં બારે માસ પાણી રહી શકે એવી ખાસ વ્યવસ્થા છે. વરસાદી પાણીને તળાવમાં ડાઈવર્ટ કરવાની પણ વ્યવસ્થા છે. પાણીના સંગ્રહ માટે ત્રણ એસેટેર લગાવવામાં આવ્યા છે.5 MLDનો ટ્રિટમેન્ટ પ્લાન્ટ પણ તૈયાર છે. જેથી પાણીને શુદ્ધ કરીને તળાવમાં ભરી શકાય. અમદાવાદ શહેરમાં પરિમલ ગાર્ડનમાં પેટડોગ્સ માટે સવિશેષ વ્યવસ્થા છે. જ્યાં નાગરિકો પોતાના પાલતું શ્વાનને લઈને ફરી શકે છે. એ માટે અલગ ટ્રેક તૈયાર કરાયો છે. બોપલ વિસ્તારમાં આવેલા ઈલેક્ટ્રોથર્મ પાસેના ગાર્ડનમાં પણ શ્વાનને ફરવા માટેની સવિશેષ વ્યવસ્થા છે. હવે વસ્ત્રાપુર તળાવમાં શ્વાન માટે એક અલગ ઝોન તૈયાર કરાયો છે.
તળાવની વિશેષતાઓ
– 950 મીટરનો રનિંગ લોઅર અને અપર વૉકવે, 2200 ચો.મી.માં બાળકોને રમવા માટેનો પ્લે એરિયા, સમગ્ર તળાવને જોવા માટે ત્રણ વ્યૂઈંગ ગેલેરી, 5 ગજેબો, જ્યાં બાળકો તથા વૃદ્ધો આરામથી બેસી શકશે, 550 ચો.મી.માં યોગ કોર્નર અને ગાર્ડન, 400 ચો.મી.માં દિવ્યાંગો માટેની ખાસ વ્યવસ્થાઓ, વરસાદી પાણી ભૂગર્ભમાં ઊતરે એ માટેની ખાસ વ્યવસ્થાઓ