અમરેલી જિલ્લાના જાફરાબાદના હેમાળ ગામ પાસે સિંહણને અડફેટે લેનારા વાહન ચાલકની અમદાવાદથી ધરપકડ કરાઈ છે.વન વિભાગે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ રિસોર્સની મદદથી વાહન ચાલકને ઝડપી પાડ્યો છે. ચારેક દિવસ પહેલા સોમનાથ નેશનલ હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા સિંહણનું મોત નિપજ્યું હતું.
જામીન ના મંજૂર થતા તેને જેલમાં ધકેલવામાં આવ્યો
વાહનની ટક્કરથી સિંહણનું મોત થતાં વન વિભાગ હરકતમાં આવ્યો હતો અને વાહન ચાલકની શોધખોળ હાથ ધરી હતી. જેમાં સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ રિસોર્સની મદદ લેવામાં આવી હતી. વન વિભાગે તપાસ દરમિયાન વાહન ચાલક રવિ ભરવાડ અમદાવાદમાં હોવાનું જણાતા તેને અમદાવાદથી ઝડપી પાડ્યો હતો. વન વિભાગે આ વાહન ચાલક રવિ ભરવાડ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તેના જામીન પણ માંગવામાં આવ્યા હતાં. પરંતુ તેના જામીન ના મંજૂર થતા તેને જેલમાં ધકેલવામાં આવ્યો હતો.
રવિ ભરવાડને અમદાવાદથી પકડી લેવામાં આવ્યો
આ અંગે અમરેલી એસીએફ વિરલસિંહ ચાવડાએ કહ્યું હતું કે, સિંહણના મોત બાદ વન વિભાગે ટેકનિકલ સોર્સ અને ગ્રામ્ય વિસ્તારમાં લગાવાયેલા કેમેરાના ફૂટેજ દ્વારા તપાસ કરી હતી. આ તપાસના આધારે સિંહણને કચડીને ફરાર થઈ જનાર આરોપીની ઓળખ થઈ હતી. જેથી આરોપી રવિ ભરવાડને અમદાવાદથી પકડી લેવામાં આવ્યો છે. તેની સામે વન્યપ્રાણી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેને જાફરાબાદની કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે તેના જામીન ના મંજૂર કરતાં તેને જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યો છે.