ગુજરાતી લોકગાયિકા કિંજલ રબારીના પ્રેમલગ્નને લઈને ઉભા થયેલા સામાજિક વિવાદ વચ્ચે હવે નવી પરિસ્થિતિ સામે આવી છે. ચૌધરી સમાજના યુવક અશોક ચૌધરી સાથે ભાગીને લગ્ન કરવાના મામલે રબારી સમાજમાં ભારે ચર્ચા અને વિરોધ થયો હતો.ત્યારબાદ બંને સમાજ વચ્ચે વાતચીત બાદ કિંજલ રબારીને તેના પરિવાર અને સમાજને પરત સોંપવામાં આવી હતી.આ ઘટનાને પગલે ચૌધરી સમાજે પણ પોતાની દીકરીને પરત મેળવવા માટે મોટું સંમેલન બોલાવવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે.
AI દ્વારા બનાવેલા ફોટા પણ દૂર કરી દેવામાં આવે
આ દરમિયાન ઘરે પરત ફર્યા બાદ કિંજલ રબારીએ પોતાનું નિવેદન આપ્યું છે. તેણે જણાવ્યું કે તેણે જે પગલું ભર્યું હતું તે હવે ભૂલીને તે પોતાના ઘરે પરત આવી ગઈ છે. હવે તે પોતાના પરિવાર સાથે રાજી-ખુશીથી રહેવા માગે છે. કિંજલે પોતાના સમાજ અને ચાહકોને અપીલ કરી છે કે તેના નામે ફેલાતી અફવાઓમાં વિશ્વાસ ન કરે અને સોશિયલ મીડિયામાં ચાલી રહેલી અનેક વાતોને સાચી ન માને. પરિવાર પાસે પાછી આવ્યા બાદ કિંજલ રબારીએ ઇન્સ્ટાગ્રામ પર પણ એક પોસ્ટ શેર કરી હતી. તેમાં તેણે લખ્યું હતું કે તેણે જે પગલું લીધું હતું તે ખોટું હતું અને તે પોતાની ભૂલ સમજ્યા બાદ સ્વેચ્છાએ પરિવાર પાસે પરત આવી ગઈ છે. હવે તે પરિવાર સાથે હળીમળીને રહેવા ઇચ્છે છે. સાથે જ તેણે લોકોને વિનંતી કરી છે કે તેના નામે કોઈ અફવા ન ફેલાવે અને તેના નામે ચાલી રહેલા ફેક એકાઉન્ટ્સમાંથી જૂના વીડિયો અથવા AI દ્વારા બનાવેલા ફોટા પણ દૂર કરી દેવામાં આવે.
કિંજલ રબારીએ ઈન્સ્ટાગ્રામ પર શું લખ્યું
હું કિંજલ રબારી મારા નામે હાલ જે વિવાદ ચાલી રહ્યો છે એ બાબતે કહેવા માગું છું કે, મેં મારી રાહ ભટકી જે પગલું ભરેલું તે ખોટુ હતું માટે હું રાજીખુશીથી મારા પરિવારનો સંપર્ક કરી મારા પરિવાર પાસે આવી ગયી છું. હું કાયમ માટે મારા પરિવાર સાથે હળીમળીને રહેવા માંગુ છું. મારા માલધારી સમાજના દરેક આગેવાનભાઈઓે અને સર્વે અઢારે આલમના મારા ચાહકમિત્રોને વિનંતી કરવા માગું છું કે, કોઈએ મારા વિશે ખોટી વાતો કે અફવાઓ ફેલાવવી નહીં અને કોઈ ખોટી વાતો કે અફવાઓમાં આવવું નહીં. મારા નામે જે પણ અન્ય સોશિયલ મિડિયાના એકાઉન્ટ ચલાવી રહ્યા છે તે તમામને મારા આગળના વીડિયોને ડીલીટ કરવા સાથે અન્ય કોઈ ખોટા એઆઈથી બનાવેલા ફોટો કે વીડિયો નહીં મૂકવા વિનંતી કરું છું.. જય દ્વારકાધીશ..