રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને ગતિ આપવા માટે સરકાર દ્વારા ઉદ્યોગોને વીજ બિલમાં મોટી રાહત આપવામાં આવી રહી છે. છેલ્લા બે વર્ષના આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ખાસ કરીને સુરત અને રાજકોટ જેવા મોટા ઔદ્યોગિક શહેરોમાં આ યોજનાનો નોંધપાત્ર લાભ આપવામાં આવ્યો છે.માહિતી મુજબ રાજકોટ શહેરમાં વર્ષ 2024 દરમિયાન કુલ 1604 ઔદ્યોગિક એકમોને વીજ બિલમાં રાહત આપવામાં આવી હતી. આ સમયગાળામાં આશરે રૂ. 106.61 કરોડ જેટલી રકમના વીજ બિલ માફ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2025માં પણ ઉદ્યોગોને રાહત આપવાની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હતી. આ વર્ષે 1571 ઔદ્યોગિક એકમોને લાભ આપવામાં આવ્યો હતો અને કુલ રૂ. 108.73 કરોડ જેટલી રકમના વીજ બિલ માફ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
ઔદ્યોગિક એકમોને વીજ બિલમાં રાહત આપવામાં આવી
સુરત શહેરમાં પણ ઉદ્યોગોને મોટી સહાય આપવામાં આવી છે. વર્ષ 2024 દરમિયાન સુરતમાં 7531 ઔદ્યોગિક એકમોને વીજ બિલમાં રાહત આપવામાં આવી હતી, જેમાં કુલ રૂ. 416.15 કરોડ જેટલી રકમના બિલ માફ કરવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2025માં આ આંકડો વધુ વધી ગયો છે. આ વર્ષે 10724 ઔદ્યોગિક એકમોને વીજ બિલ માફીનો લાભ મળ્યો છે અને કુલ રૂ. 478.36 કરોડ જેટલી રકમના વીજ બિલ માફ કરવામાં આવ્યા છે.સરકારના આ પગલાને કારણે રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્રને પ્રોત્સાહન મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો માટે આ રાહત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, કારણ કે વીજળીના ખર્ચમાં ઘટાડો થવાથી ઉદ્યોગોને આર્થિક રીતે મજબૂતી મળશે અને ઉત્પાદન પ્રવૃત્તિઓમાં વધારો થવાની આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.