ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે વિધાનસભામાં લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કર્યા અંગે માહિતી આપી હતી. તેમણે નવા નિયમો અંગે વાત કરી હતી. ગૃહમાં તેમણે કહ્યું હતું કે, સરકારે વિવિધ સમાજ અને સંસ્થાઓની રજૂઆતોને ધ્યાને લઈને લગ્ન નોંધણીના નિયમોમાં સુધારો કર્યો છે. લોકો પાસેથી આ માટે વાંધા સૂચનો મંગાવાયા છએ. એક મહિનામાં લોકો આરોગ્યચ વિભાગની વેબસાઈટ અને લગ્ન નોંધણીના નિયમો માટે સૂચનો આપી શકશે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ સરકાર પ્રેમ લગ્નના વિરોધમાં નથી. પરંતુ પ્રેમ શબ્દને બદનામ કરનારા લોક સામે કડક પગલાં ભરવા આ સરકાર હંમેશા કટીબદ્ધ છે.
અમે કરોડો દીકરીઓના રક્ષણ માટે ઉભા છીએ
હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ગુજરાતની ભોળી દીકરીઓને કોઈ સલીમ સુરેશ બનીને તેની લાગણીઓને ઠેસ પહોંચાડશે તો સરકાર તેના એવા હાલ કરશે કે જીવનભર કોઈને સામે જોઈ નહીં શકે. અમે કરોડો દીકરીઓના રક્ષણ માટે ઉભા છીએ. રાવણે છળ કરીને સીતામાતાનું અપહરણ કર્યું અને અલાઉદ્દીન ખીલજીએ પણ લાખો લોકોનું લોહી વહાવ્યું. આજે લવ જેહાદ તેનું આધુનિક સ્વરૂપ છે. લગ્ન સોળ સંસ્કારો પૈકીનો એક મહત્વનો સંસ્કાર છે. આપણા સમાજમાં બ્રહ્મ વિવાહથી ગાંધર્વ વિવાહ સુધીની પરંપરા છે જેમાં ક્યારેય છળ અને કપટ ના થાય.
સુધારો કરવા નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો
ગુજરાત વિધાનસભામાં નિયમ 44 હેઠળ નાયબ મુખ્યમંત્રીએ જાહેર અગત્યની બાબતે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને મળેલ વિવિધ રજૂઆતોને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે ગુજરાત Registration of Marriages Rules હેઠળ લગ્ન નોંધણીની પ્રક્રિયામાં સુધારો કરવા નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. આ સુધારાઓ અંગે જાહેરમાંથી વાંધા-સૂચનો માંગવામાં આવશે અને મળનારી સૂચનાઓ પર વિચારણા કર્યા બાદ અંતિમ સ્વરૂપના નવા નિયમો અમલમાં મૂકવામાં આવશે, જેથી લગ્ન નોંધણી પ્રક્રિયા વધુ પારદર્શક અને સુગમ બને.