મોરબીઃ મોરબી શહેરમાં પાણીને લઈને સ્થાનિકોએ તંત્રની કચેરીમાં રામધૂન બોલાવી, વિરોધ કર્યો છે. શહેરના ઋષભનગર સોસાયટીમાં સ્થાનિકો છેલ્લા ત્રણ વર્ષથી પાણીના અભાવનો અનુભવી રહ્યા છે. પાણીને લઈ તંત્રને અનેક રજૂઆત કરવામાં આવી હતી પણ તંત્ર પાણીમાં બેસી ગયું હતું. પાણીના મુદ્દે કાયમી નિવેડો આવે એવું સ્થાનિકો ઈચ્છે છે. ગુરૂવારે આ સોસાયટીની મહિલાઓએ તંત્રની કચેરીએ જઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં રામધૂન બોલાવી પાણીની સમસ્યા દૂર કરવા રજૂઆત કરી હતી.
મહાનગર પાલિકામાં હલ્લાબોલ
મોરબી શહેરના સનાળા રોડ પર આવેલી ઋષભનગર સોસાયટીમાં છેલ્લા ત્રણ વર્ષથી પાણી ન આવતા મુશ્કેલી ઊભી થઈ હતી. પાણી નિયમિત અને પૂરતા પ્રમાણમાં ન આવતા સ્થાનિકો પરેશાન થયા હતા.આ પહેલા પણ નગરપાલિકા તથા મહાનગર પાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી. આ મુદ્દાનો ઉકેલ ન આવતા મહિલાઓએ મહાનગર પાલિકાની કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. પાણીના પ્રશ્ને રોષે ભરાયેલા સ્થાનિકોએ વાજતે-ગાજતે રેલી યોજી હતી.
અધિકારીઓ હાજર ન હતા
મહાનગર પાલિકામાં ડે. કમિશનર કે કમિશનર હાજર ન હોવાથી સ્થાનિકોએ કચેરીના પરિસરમાં રામધૂન બોલાવી હતી. અંતે ડે. કમિશનર સંજય સોનીને પાણી તાત્કાલિક ધોરણે મળે એ માટે રજૂઆત કરી. આ માટેનો નવી પાઈપલાઈનના પ્રોજેક્ટને સરકારમાંથી મંજૂરી મળી ચૂકી છે. અન્ય વિસ્તારોની જેમ મોરબીના આ વિસ્તાર અને સોસાયટીને ઝડપથી પાણી મળતું થશે એવી ખાતરી અધિકારીએ આપી હતી.