ભાવનગરઃ શૈક્ષણિક જ્ઞાન અને ઉદ્યોગની જરૂરિયાતો વચ્ચેનો અંતર દૂર કરવાના આશયથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા મહત્ત્વની પોલીસી ઘડવામાં આવી છે. યુનિ.ની નવી ઈન્ટર્નશિપ નીતિમાં છાત્રોની કુશળતાનું 60 ટકા મૂલ્યાંકન માન્ય ગણવામાં આવશે. આ પોલીસીના સફળ અમલીકરણ માટે યુનિવર્સિટી દ્વારા 1 લીએ ડીનની બેઠક મળશે. જેમાં સમગ્ર એજન્ડાની ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
રોજગાર ક્ષમતા વધારવા મહત્ત્વનો નિર્ણય
વિદ્યાર્થીઓને ઉચ્ચ- ગુણવત્તાવાળો પ્રાયોગિક અનુભવ પૂરો પાડવા અને તેમની રોજગાર ક્ષમતા વધારવા માટે એક સમગ્ર ઇન્ટર્નશિપ નીતિ જાહેર કરવામાં આવી છે. આ નીતિ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત માર્ગદર્શક સિદ્ધાંતોને ફોલો કરે છે. જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે. આ નવી SOP નો મુખ્ય ધ્યેય શૈક્ષણિક જ્ઞાન અને ઉદ્યોગ જરૂરિયાતો વચ્ચેના અભાવને દૂર કરવાનો છે.જેથી વિદ્યાર્થીઓને એમની કરિયરમાં પ્રેક્ટિકલ વાતાવરણનો અનુભવ થઈ શકે.એમની કાર્યક્ષમતા વધારી શકાય. ડીનની આ બેઠકમાં નવી ઇન્ટર્નશિપ પ્રક્રિયાની રૂપરેખા નક્કી કરવામાં આવશે.
નોડલ ઓફ્સિરની નિમણૂક
આ બેઠકમાંથી યોગ્ય નોડલ ઓફ્સિરની નિમણૂંક કરાશે. જે ઈન્ટર્નશિપના દરેક પાસાનું સંકલન કરશે. જે તે ક્ષેત્રના ઉધોગ સાથે જોડાણ પણ કરાશે. નોડલ ઓફિસરની નિમણૂંક બાદ, સંબંધિત વિભાગના અધ્યક્ષ દ્વારા વિધાર્થીઓની કુશળતા અને જ્ઞાનને અનુરૂપ ઉદ્યોગિક ભાગીદારો સાથે એમઓયુ અથવા લેટર ઓફ ઇન્ટેન્ટ દ્વારા જોઈનિંગ કરાવીને અભ્યાસની સાથે ઉદ્યોગ જગતનો અનુભવ કારાવાશે.