ગુજરાતમાં આંતરજ્ઞાતિય લગ્નને લઈને વારંવાર ચર્ચા અને વિવાદો ઊભા થતા રહે છે. થોડા સમય પહેલા સિંગર કિંજલ દવેના લગ્ન મુદ્દે ચર્ચા ચાલી હતી, અને હવે ફરી એક લોકગાયિકા કિંજલ રબારીના લગ્નને લઈને ચર્ચાનો માહોલ ગરમાયો છે. રાધનપુર નજીકના સીનાડ ગામની લોકગાયિકા કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના યુવક સાથે લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે, જેના કારણે આ મામલે વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
વકીલ મારફતે પોલીસ પાસે સુરક્ષા આપવા માટે અરજી કરી
માહિતી મુજબ કિંજલ રબારીએ પોતાના પરિવારજનોને આ લગ્ન માટે મનાવવા ઘણો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં વાત આગળ ન વધતા તેણે અંતે પોતાની પસંદગીના યુવક અશોક ચૌધરી સાથે લગ્ન કરી લીધા. આ ઘટનાની માહિતી બહાર આવતા સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની ચર્ચાઓ અને ટિપ્પણીઓ શરૂ થઈ ગઈ છે.કિંજલ રબારીએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હાલમાં સોશિયલ મીડિયામાં તેમના પતિ અંગે અયોગ્ય અને ખોટી ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. લગ્ન પછી તેમને અને તેમના પતિને સુરક્ષાને લઈને ચિંતા થઈ રહી છે. આ કારણે તેમણે વકીલ મારફતે પોલીસ પાસે સુરક્ષા આપવા માટે અરજી કરી છે. તેમણે વધુમાં લોકોને અપીલ કરી છે કે તેમના લગ્ન અંગે ખોટી અફવા કે ગેરસમજ ફેલાવવી નહીં. સાથે જ તેમણે જણાવ્યું કે જો તેમને અથવા તેમના પતિને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો તેની જવાબદારી તેમના પરિવારજનો પર રહેશે.આ સમગ્ર ઘટનાને કારણે ગુજરાતમાં ફરી એકવાર આંતરજ્ઞાતિય લગ્નના મુદ્દે ચર્ચા તેજ બની છે અને સમાજમાં વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.