ભાજપના સાંસદ નરહરી અમીનની રજૂઆત બાદ અમદાવાદના એસપી રિંગ રોડ પર ઝુંડાલથી વૈષ્ણોદેવી તરફ જતા માર્ગ પર હોટેલ હિલ્લોક નજીક આવેલો ડિવાઈડર કટ AUDA અને પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે ન્યૂ ત્રાગડ, ચાંદખેડા સહિત આસપાસના વિસ્તારોના વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડિવાઈડર કટ બંધ થતા લોકોને ત્રણથી ચાર કિલોમીટરનું વધારાનું ફેરવુ પડતું હોવાથી નારાજગી વધી છે. આ સમસ્યાના ઉકેલ માટે આજે (8 ફેબ્રુઆરી) સ્થાનિક નાગરિકો દ્વારા સહી અભિયાન ચલાવવામાં આવ્યું હતું. અગાઉ સ્થાનિક લોકોએ સાંસદ નરહરી અમીન અને કોર્પોરેટરો સમક્ષ રજૂઆત કરી હતી, પરંતુ કોઈ નક્કર ઉકેલ ન આવતાં લોકો હવે રસ્તા પર ઉતરી આવ્યા છે.

પોલીસ સ્ટેશનના પીઆઇ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી
આજે એસપી રિંગ રોડ પર હોટેલ હિલ્લોક નજીક સ્થાનિકોએ રસ્તો બંધ કરી સક્કાજામ કર્યું હતું, જેના કારણે અડધો કિલોમીટરથી વધુ લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ સર્કલ તરફ જતાં અનેક વાહનો ટ્રાફિકમાં ફસાયા હતા. સ્થાનિકોની સાથે આપના નેતાઓ પણ વિરોધમાં જોડાયા હતા.સ્થાનિક લોકોએ એલ ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. લોકોનું કહેવું છે કે ડિવાઇડર બંધ હોવા ઉપરાંત ગરનાળા પાસે પણ સતત ટ્રાફિકજામ થાય છે, છતાં ત્યાં ટ્રાફિક પોલીસની હાજરી નથી, જેના કારણે મુશ્કેલી વધુ વધી જાય છે. લોકોની માંગ છે કે ડિવાઇડર કટ ફરી ખોલવામાં આવે અને ગરનાળા વિસ્તારમાં નિયમિત ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવે.

વાહનચાલકોને ભારે પરેશાની વેઠવી પડી હતી
રસ્તો બંધ થતાં ટ્રાફિકની સ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. ઘટનાસ્થળે ચાંદખેડા પોલીસ સ્ટેશનના માત્ર એક પીએસઆઇ અને પાંચ પોલીસકર્મચારીઓ હાજર હોવાથી ટ્રાફિક નિયંત્રણમાં મુશ્કેલી પડી હતી. પોલીસની ઓછી સંખ્યાને કારણે સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ પણ સર્જાઈ હતી અને લોકો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.હોટેલ હિલ્લોક નજીક સર્જાયેલા સક્કાજામને કારણે એસપી રિંગ રોડ પર લાંબો ટ્રાફિકજામ યથાવત રહ્યો હતો અને વાહનચાલકોને ભારે પરેશાની વેઠવી પડી હતી.