સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા નવનિર્મિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરમાંથી બે યુવતીઓના મૃતદેહ મળતા શહેરમાં ચકચાર મચી ગઈ હતી. મંદિરના બાથરૂમમાંથી મળેલા આ બનાવને લઈને પોલીસ તાત્કાલિક તપાસમાં લાગી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બંને યુવતીઓએ એનેસ્થેસિયાની દવાના ઇન્જેક્શનનો ઓવરડોઝ લઈને આપઘાત કર્યો હોવાની આશંકા છે.પોલીસ તપાસમાં મૃતક યુવતીઓની ઓળખ 18 વર્ષીય રોશની શરદ શીરસાઠ અને 20 વર્ષીય જોસના ચૌધરી તરીકે થઈ છે. બંને યુવતીઓ વિદ્યાર્થિની હોવાનું સામે આવ્યું છે.
કેટલાક મહત્વના ડિજિટલ પુરાવા મળ્યા
બનાવ બાદ પોલીસ દ્વારા સ્થળ પર પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને યુવતીઓના મોબાઈલ ફોનમાંથી કેટલાક મહત્વના ડિજિટલ પુરાવા મળ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે બંને યુવતીઓ પ્રેમ સંબંધમાં હતી અને છેલ્લા કેટલાક દિવસોમાં તેમના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયું હતું. આ ઘટનાથી બંને યુવતીઓ માનસિક રીતે તૂટી પડી હોવાની પણ માહિતી સામે આવી છે.પોલીસના જણાવ્યા મુજબ આશરે પંદર દિવસના અંતરે બંને યુવતીઓના તેમના પ્રેમી સાથે સંબંધ તૂટ્યા હતા. મોબાઈલમાં મળેલા મેસેજ અને અન્ય માહિતીના આધારે આ વાતની પુષ્ટિ થતી હોવાનું જણાવાયું છે. હાલ પોલીસ સમગ્ર ઘટનાની વધુ તપાસ કરી રહી છે અને આપઘાત પાછળના અન્ય સંભવિત કારણોની પણ તપાસ કરવામાં આવી રહી છે.