ઘણા સમયથી સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યાં છે. સતત થઈ રહેલી ખનીજ ચોરી સામે ખાણ અને ખનીજ વિભાગ દ્વારા એક્શન લેવામાં આવી છે. ત્યારે હવે પોલીસ પણ ખનીજ માફિયાઓ સામે એક્શનમાં આવી છે. થાનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખનીજ માફિયાઓ અને બુટલેગરોના ઘરો પર પોલીસ અને વીજ વિભાગે ચેકિંગ શરૂ કર્યું હતું. જેમાં ખુદ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ પોલીસના કાફલા સાથે ચેકિંગમાં જોડાયા હતાં.
પ્રેમસુખ ડેલુએ બુટલેગરો અને ખનીજ માફિયાઓ સામે તવાઈ બોલાવી
થાનગઢમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ બુટલેગરો અને ખનીજ માફિયાઓ સામે તવાઈ બોલાવી છે. આ ચેકિંગની ઝૂંબેશમાં 250થી વધુ પોલીસ કર્મીઓ જોડાયા છે. જેમાં એસપી, ડીવાયએસપી, પીઆઈ, એલસીબી અને એસઓજી સહિતની પોલીસની ટીમો જોડાઈ છે. આ ઉપરાંત પીજીવીસીએલની 50 ટીમો વીજ ચેકિંગમાં જોડાઈ હતી. વીજ ચેકિંગ હાથ ધરાતા અનેક ખનીજ માફિયાઓ અને બુટલેગરોના મકાનો પર ગેરકાયદે જોડાણો મળી આવ્યા હતાં. પોલીસે બુટલેગરો અને ખનીજ માફિયાઓના ઘર પાસે ગેરકાયદે પાર્ક કરવામાં આવેલા ગેરકાયદે વાહનો પણ ડિટેઈન કર્યા હતાં. પોલીસ અને પીજીવીસીએલ દ્વારા ખાસ કરીને ખનીજ ચોરી માટે પ્રખ્યાત જામવાળી ગામમાં ચેકિંગ હાથ ધરી મોટી વીજ ચોરી ઝડપી હતી.